મોરારિબાપુએ અમદાવાદની વિમાની દુર્ઘટનાના દિવંગતોને ભંડારો અર્પણ કર્યો
તલગાજરડા ૧૩ જૂન ૨૦૨૫: મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબાના નિર્વાણ નિમિત્તે તલગાજરડા ખાતે આજે સાંજે ચાર વાગ્યે સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ સમાજની પરંપરા મુજબ યોજાયેલા આ ભંડારામાં આરંભે વિવિધ ધર્મસ્થાનોમાંથી ઉપસ્થિત સંતો-મહંતોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ અવસરે જગદ્ગુરુ સતુઆબાબા(વારાણસી), લલિત કિશોરબાપુ(લીંબડી), જાનકીદાલબાપુ(કમીજડા), પાળિયાદની જગાનાં મહામંડલેશ્વર નિર્મળાબા, ભક્તિરામબાપુ (સાવરકુંડલા), કહાનવાડીના ગાદીપતિ દલપતસાહેબ તેમજ અન્ય અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વંદના મોરારિબાપુનાં પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.
સંત ભંડારાના આ અવસરે મોરારિબાપુએ પોતાના ઉદ્બોધનના આરંભે તાજેતરમાં અમદાવાદ ખાતે થયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાનો ભાવ વ્યક્ત કરતાં બાપુએ જણાવ્યું હતું કે અમારા સાધુ સમાજમાં સમાધિ અપાય એ સાથે જ બધું પૂરું થઈ જાય છે. શોકસભા, બારમું-તેરમું કે બીજાં કોઈ વિધિવિધાન હોતાં નથી. અનુકૂળતા મુજબ ભંડારાનું આયોજન થાય છે.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતોની હાજરીમાં બાપુએ સાધુનાં પાંચ લક્ષણ તારવી બતાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે સ્વચ્છતા, પવિત્રતા, પ્રસન્નતા, સ્વતંત્રતા અને અસંગતા એ સાધુ પંચક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની વિમાનની દુર્ઘટનાને અનુલક્ષીને સાધુ સમાજની પરંપરા મુજબ થતાં સામૈયાનો ઉપક્રમ તેમજ સંતવાણીનો કાર્યક્રમ મોરારિબાપુએ મુલતવી રાખ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ભંડારામાંથી પોતાના પરિવારને હટાવીને વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા દિવંગતોને આ ભંડારો અર્પણ કર્યો હતો. ભંડારાના આયોજનમાં વિવિધ ધર્મસ્થાનોના સંતો-મહંતો તેમજ દેશ-વિદેશના બાપુની કથાના શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભંડારાનું સંયોજન અનુબાપુ હરિયાણીએ કર્યું હતું.