વિમાન દુર્ઘટનાની પીડા તેમજ દીવંગતો ને અંજલિ સાથે તલગાજરડામાં શ્રી નર્મદાબા ભંડારા પ્રસંગે સંતો મહંતોનાં સાનિધ્ય સાથે શ્રી મોરારિબાપુએ દર્શાવ્યો ભાવ.
તલગાજરડા ૧૩ જૂન ૨૦૨૫: આજે તારીખ ૧૩/૬/૨૫ ની સંધ્યાએ તલગાજરડામાં શ્રી મોરારિબાપુનાનાં ધર્મપત્ની શ્રી નર્મદાબા ભંડારા પ્રસંગે સંતો મહંતોનાં સાનિધ્ય સાથે શ્રી મોરારિબાપુએ સૌ પ્રત્યે ભાવ દર્શાવ્યો અને કહ્યું કે, સ્વચ્છતા, પવિત્રતા, પ્રસન્નતા, સ્વતંત્રતા અને અસંગતા એ સાધુપંચક છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની પીડા અને અંજલિ સાથે સમાધિસ્થ શ્રી નર્મદાબાનાં ભંડારા પ્રસંગે વિવિધ જગ્યા સ્થાનોનાં સંતો અને મહંતોનાં સાનિધ્ય સાથે શ્રી મોરારિબાપુએ આ પ્રસંગનાં સ્વાભાવિક ઉદબોધનમાં આદર્શ સાધુની વ્યાખ્યા કરતાં કહ્યું કે, સ્વચ્છતા, પવિત્રતા, પ્રસન્નતા, સ્વતંત્રતા અને અસંગતા એ સાધુપંચક છે. આ એક એક વિશેષતા તત્વ વિશે પણ ટૂંક દર્શન કરાવ્યું અને ઉમેર્યું કે સાધુ એ લાભ માટે નહી શુભ માટે કાર્યરત હોય છે. સમાજ દ્વારા સાધુ પ્રત્યેનાં રહેલાં પૂજ્યભાવનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ ટકોર કરતાં ઉમેર્યું પણ ખરું કે, સાધુએ સહન પણ ઘણું કરવું પડતું હોય છે.
તલગાજરડામાં શ્રી મોરારિબાપુનાં ધર્મપત્ની શ્રી નર્મદાબા ભંડારા પ્રસંગે શ્રી સતુઆ બાબા, શ્રી અંશુ બાપુ, શ્રી દુર્ગાદાસ બાપુ, શ્રી લલિતકિશોર મહારાજ, શ્રી જાનકીદાસ બાપુ, શ્રી રામ બાલકદાસજી બાપુ, શ્રી નિર્મળા બા, શ્રી નિજાનંદજી સ્વામી, શ્રી દલપતરામ પઢિયારજી, શ્રી દયાગીરીબાપુ, શ્રી જયદેવદાસજી, શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી, શ્રી રામેશ્વરદાસજી હરિયાણી, શ્રી ભક્તિરામબાપુ, શ્રી ઘનશ્યામ બાપુ વગેરે સાધુ સંતો અને મહંતો અને કથાકારો સાથે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ભંડારા વિધિ પ્રસંગે શ્રી મોરારિબાપુ તથા ચિત્રકુટધામ પરિવારનાં સંકલન સાથે સૌ પ્રાર્થના અને પ્રસાદમાં જોડાયાં હતાં. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે સંદર્ભે સંતવાણીના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કાર્યક્રમ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને સમર્પિત કર્યો હતો.