ગુજરાત, અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૫: વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા “બા” નું મંગળવારે, ૧૦ જૂનના રોજ, વટ સાવિત્રીના દિવસે રાત્રિના સમયે નિધન થયું છે. તેથી, સાધુ સમાજની પવિત્ર પ્રવાહિત પરંપરા મુજબ, કૈલાશવાસી નર્મદાબેનને આજે સવારે ૯ વાગ્યે “સમાધિ” આપવામાં આવી. અહીં સવિશેષ ઉલ્લેખનીય છે કે સાધુ સમાજમાં મૃત્યુને “શુભ પ્રસંગ” માનવામાં આવે છે, તેથી મૃત્યુનો શોક કરવાને બદલે, મૃતાત્માના પાર્થિવ શરીરને આરતી, નગારા, શંખનાદ અને કરતલ ધ્વનિ સાથે “મહાઆરતી નાદ” પૂર્વક “સમાધિસ્થ હેતુ” પરમ વિદાય માન આપવામાં આવે છે.
પૂજ્ય નર્મદા “બા” ને પણ “હરે રામા રામા રામ, સીતારામ રામ રામ રામ…” ના કીર્તન સાથે બાપુના નિવાસસ્થાન “કૈલાસ” ના પરમ પાવન અને પવિત્ર પરિસરમાં સમાધિ આપવામાં આવી.
આ અવસરે ધાર્મિક, સામાજિક અને રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમજ લોકસાહિત્યકાર, વિવિધ ક્ષેત્રના વિશારદ કલાકાર, કથાકાર અને કથાપ્રેમી શ્રોતાઓ તથા તલગાજરડાના ગ્રામજનોની સાથે, સૌ અધિકારી-પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ મોરારી બાપુને પ્રણામ કરી પોતાની સંવેદના પ્રકટ કરી અને નર્મદા “બા” ની સમાધિસ્થ ચેતનાને “અંતિમ રામ રામ કહ્યા”.