નાણાકીય વર્ષ 2026-27માં મારુતિ સુઝુકીએ કુલ રેલ- આધારિત વાહન મોકલવાનો 70% હિસ્સો કંપનીના ગુજરાત અને માનેસર સ્થિત પ્લાન્ટ-આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા નોંધાવ્યો છે.
હંસલપુર, ગુજરાત | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ હાંસલપુર, ગુજરાત અને માનેસર, હરિયાણા ખાતેના તેના પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા કુલ 1 મિલિયન (10 લાખ) વાહનો મોકલવાનો મહત્ત્વપૂર્ણ સીમાચિહનરૂપ આંકડો હાંસલ કર્યો છે. ગુજરાત રેલવે સાઈડિંગ દ્વારા અંદાજે 0.79 મિલિયન (7.9 લાખ) વાહનો મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે માનેસર રેલવે સાઈડિંગનો ફાળો અંદાજે 0.21 મિલિયન (2.1 લાખ) વાહનોનો રહ્યો હતો.
માર્ચ 2023માં ગુજરાત રેલવે સાઈડિંગ અને જૂન 2025માં માનેસર રેલવે સાઈડિંગ ખાતે કામગીરી શરૂ થયાનાં ફક્ત ત્રણ વર્ષ અને પાંચ મહિનામાં આ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું હતું. મારુતિ સુઝુકી ભારતની પ્રથમ અને એકમાત્ર પેસેન્જર વાહન ઉત્પાદક (OEM) કંપની છે, જેની પાસે હંસલપુર અને માનેસર ખાતેના ઉત્પાદન એકમોમાં પ્લાન્ટ-આધારિત રેલવે સાઈડિંગ્સની વ્યવસ્થા છે. આ સમર્પિત પ્લાન્ટ-આધારિત સુવિધાઓ દ્વારા વાહન પરિવહનને રોડ માર્ગેથી રેલ માર્ગે સ્થાનાંતરિત કરવાથી નોંધપાત્ર GHG (Greenhouse Gases) ઉત્સર્જન ટાળવામાં મદદ મળી છે , સાથે સાથે ઈંધણનો વપરાશ ઘટ્યો છે અને રસ્તાઓ પરની ભીડમાં પણ ઘટાડો થયો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં 31 ઓગસ્ટ સુધીમાં મારુતિ સુઝુકીનો રેલ-આધારિત વાહનો મોકલવાનો આંકડો 3 લાખ વાહનોને વટાવી ગયો છે.
આ સીમાચિહ્ન અંગે વાત કરતાં મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી હિસાશી તાકેઉચી એ જણાવ્યું હતું કે, “અમારા પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા કુલ એક મિલિયન વાહનો મોકલવા સુધી પહોંચવું એ અમારી ‘ગ્રીન લોજિસ્ટિક્સ’ (પર્યાવરણ- અનુકૂળ લોજિસ્ટિક્સ) યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ‘પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ હેઠળ વિકસાવવામાં આવેલા આ સાઈડિંગ્સ દર્શાવે છે કે કેવી રીતે સંકલિત મલ્ટી- મોડેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યાત્મક કાર્યક્ષમતા અને પર્યાવરણીય લાભો બંને પ્રદાન કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રેલ-આધારિત રવાનગીમાં ગુજરાત અને માનેસર સ્થિત અમારા પ્લાન્ટ-આધારિત રેલવે સાઈડિંગ્સનો 70% ફાળો હોવાથી અમે રેલ-આધારિત વાહન પરિવહનને વધારવાની દિશામાં મજબૂત પ્રગતિ કરી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યું કે, “નાણાકીય વર્ષ 2014-15માં 5%થી વધીને નાણાકીય વર્ષ 2025-26માં રેલ-આધારિત વાહન રવાનગી (ડિસ્પેચ)માં અમારો હિસ્સો 26.5% થયો છે. અમારું મધ્યમ ગાળાનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં રેલ- આધારિત વાહન રવાનગીને 35% સુધી વધારવાનું છે, જેના માટે રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ કરવામાં આવશે, જેમાં અમારા નવા ખરખોડા એકમ ખાતેના ‘ઇન-પ્લાન્ટ સાઇડિંગ’નો પણ સમાવેશ થાય છે. આ અમારા ટકાઉ લોજિસ્ટિક્સ નેટવર્કની કાર્યક્ષમતાને મજબૂત બનાવશે અને ભારતના ‘નેટ ઝીરો’નાં લક્ષ્યોને સમર્થન આપશે.”
મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2014-15થી અત્યાર સુધીમાં કુલ 3.3 મિલિયન (33 લાખ)થી વધુ વાહનો રેલ માર્ગે રવાના કર્યા છે. આમાંથી 1 મિલિયન વાહનો કંપનીના ગુજરાત અને માનેસર સ્થિત ‘ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગ્સ’ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના વાહનો ઉત્પાદન એકમોની બહાર આવેલા લોડિંગ ટર્મિનલ્સનો ઉપયોગ કરીને રવાના કરવામાં આવ્યા હતા.
‘ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગ’ એ ઉત્પાદન એકમની અંદર બનાવવામાં આવેલું એક સમર્પિત રેલ ટર્મિનલ છે. તે ઉત્પાદન પછી વાહનો કે માલસામાનને પ્લાન્ટની અંદર જ ટ્રેનોમાં લોડ કરવાની સુવિધા આપે છે, જેનાથી નજીકના રેલવે સ્ટેશન સુધી પરિવહન માટે ટ્રકનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.
== સમાપ્ત ==

