કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો.
ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન!
શંકર શંભુ,વિભુ અને પ્રભુ છે.
પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે.
ઉડુપી-કર્ણાટકની ધીર ધરા પર ચાલતા કથાયજ્ઞનો સોમવારે આમ કહેતા સાતમા દિવસમાં પ્રવેશ થયો:
એક ઉમ્ર ગુજાર દી ચાહત મેં તેરી;
બડે ખુશનસીબ હૈ,આપકો પાને વાલે!
કથા એ આજીવિકા છે?એવા પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યું કથાને આજીવિકા ના બનાવો, આજીવન બનાવો.આ કોઈ ધંધો નથી.ધર્મ ધંધો બની જાય ત્યારે અધર્મ પ્રવેશે છે.
શ્રુતિકારોએ દસ ધર્મ બતાવ્યા.વેદોએ ધર્મની પાંચ વ્યાખ્યા બતાવી,જેમાં:ધારયતિ ઇતિ ધર્મ-જે આપણને ધારણ કરે અને જેને ધારણ કરવાથી આપણું માનસિક સ્તર ઉપર ઉઠે.જેને ધારણ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું થવા માંડે.ધર્મ ઔષધિ છે.ધર્મને ધારણ કરવાથી સાધકની માનસિક સ્થિતિ ઉપર જાય છે.જેમ વાયુનાં સંગથી રજ ઉપર જાય એમ રજ જેવા આપણે ઉપર ઉઠીએ છીએ. શરીર સ્વસ્થ થાય છે,આંતરિક સ્વાસ્થ્ય ખૂબ વધે છે મૂળ રૂપમાં વૈદિક ધર્મ જેણે ધારણ કર્યો એની આર્થિક સ્થિતિ સારી થશે.જો કે કૃષ્ણ કૃપા કરે તો ધન ધીમે-ધીમે ઓછું થાય છે!હદથી વધારે ધન પ્રાપ્ત થાય છે.ધર્મને ધારણ કરવાથી સામાજિક દરજ્જો વધે છે.કથા મનોરથી પ્રવીણભાઈએ ૧૮-કથા કરાવી એનો સામાજિક દરજ્જો ખૂબ વધ્યો હશે,લોકોને મનોરથી બનવાની ઈચ્છા થઈ હશે.સાચા ધર્મને ધારણ કરવાથી એની વાત સત્તાએ પણ સાંભળવી પડે,જોકે માને નહીં એ એનું દૂર્ભાગ્ય છે.સાચો ધર્મ ધારણ કરવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે,ઉન્નતિ થવા લાગે છે.
ભાગવતનાં ૧૧-માં સ્કંધમાં ભાગવત ધર્મનો ઉલ્લેખ છે.એણે ગુરુપદની વાત કરીને શરૂ કર્યું છે.મનુષ્યને જ ધર્મ છે એવું નથી.કણ-કણ,ઝાડ,વહેતી નદી, સ્થિર પર્વતો-દરેકને પોતાનો ધર્મ-સ્વભાવ છે.પણ ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન રહેજો.જ્યાં અસત્યનો કારોબાર છે ત્યાં સાહસ કરીને એ છોડી દો.
પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે.ખૂબ ભજન વધારો.ભજન એટલે હરિનામ,ભજન જ મારા માટે આખો અષ્ટાંગ યોગ છે.
ગોપીઓ શ્રુતિરૂપા છે.શ્રીકૃષ્ણએ એને એ જ રૂપમાં જોઈ.ક્યારેક ઘનપાઠ ક્યારેક,જટાપાઠ ક્યારેક સ્કંધ પાઠ કરીને ગાઇ છે.ગોપીઓ સ્ત્રી નહીં,કૃષ્ણની ચેતના છે.શરીરપણું છોડી દીધું છે.ઠાકોરજીનું આ શ્રુતિ રમણ છે.કૃષ્ણ પૂર્ણકામ છે,એને કોઈ કામના નથી.તેથી આ કોઈ મર્યાદા ભંગ કે નિંદનીય કૃત્ય નથી કૃષ્ણચરિત્રમાં ત્રણ ગીત મહત્વના છે:ગોપી ગીત-એ જમનાની ધારા છે.ગોપગીત-એ સરસ્વતિની ધારા છે પુરુષો રુદન કરે એ સરસ્વતીની જેમ ગુપ્ત હોય છે. અને ગોપાલ ગીત-એ ગંગાની ધારા છે.કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય,પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.
નવ પ્રકારના સત્યનો શ્લોક મળે છે.પ્રેમ-નારદે બતાવેલા છ-ગુણ રહીતં વાળા શ્લોકમાં.અને ત્રણ રામાયણમાંથી મળે છે:કેવલ પ્રેમ,નિષ્કેવલ પ્રેમ અને પરમ પ્રેમ.એ જ રીતે નવ પ્રકારની કરુણા છે.
અયોધ્યા કાંડમાં શ્રાવણનાં આખરી સોમવારે ભગવાન શિવંના શ્લોકથી આરંભ કર્યો છે. અયોધ્યાકાંડ એ યુવાનીનો કાંડ છે.શંકર શંભુ-શુભ કરનાર,વિભુ-અતિ વ્યાપ્ત અને પ્રભુ-એટલે સમર્થ છે અયોધ્યાકાંડનું સંક્ષિપ્ત ગાયન કરી ભરતજી પાદૂકા લઈને અયોધ્યામાં પહોંચે છે ત્યાં અયોધ્યાકાંડનું સમાપન થયું.
Box
૬-વસ્તુ જીવતાં બાળે છે.
સુભાષિત કાર છ વસ્તુઓ બતાવે છે જે માણસને જીવતા બાળી નાંખે છે:એક-ખરાબ સોબત- ખલમંડળી.બે-કૂલહીન સેવક.ત્રણ-ખરાબ ભોજન. ચાર-અત્યંત ક્રોધી પત્ની.પાંચ-મૂરખ સંતાન.છ-ખૂબ નાની ઉંમરમાં વિધવા થયેલી આપણી દીકરી કે સંતાન-એ જીવતા સળગાવી નાખે છે.
Box
કૃષ્ણની કરુણા નવ પ્રકારની-પૂર્ણાંક છે.
નવ પ્રકારની કરુણામાં:નેત્રની કરુણા,વચનની કરુણા,હૃદયની કરુણા,સાગર જેટલી કરુણા,પૃથ્વી જેટલી કરુણા,શિવ જેવી કરુણા,કોમલ કરુણા, બુધ્ધની કરુણા,વાત્સલ્યની કરુણા.
== સમાપ્ત ==

