Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતની જે સભ્યતાએ માતૃ સ્વરૂપોને સ્વિકાર્યું નથી એ કાળાંતરમાં નિષ્ફળ ગઇ છે.

પાંચેય માતાઓ સુજલામ-સજળ છે.
પાંચેય માતાઓ સુફલામ છે.
માણસ ધાર્મિક નહીં,ધર્મશીલ હોવો જોઈએ.
સર્જક પણ સર્જનશીલ હોવો જોઈએ.

ઘાટકોપરનાં અત્રે મેદાનથી બીજા દિવસની કથાનો આરંભ પાંચ માતાઓને પ્રણામ કરીને કરતા બાપુએ જણાવ્યું કે જગતની કોઈપણ સભ્યતા જેણે માતૃ સ્વરૂપોને સ્વીકાર્યું નથી એ કાળાંતરમાં નિષ્ફળ ગયા છે.કારણ કે માતા ઉદભવ સ્થિતિ સંહારકારીણી કલેશ હારીણી સર્વશ્રેયસ્કરીં મા જાનકી,મા પાર્વતી ભવ ભવ વિભવ પરાભવકારીણી,પરાશક્તિ,જગત માતા-એને સ્વિકારતા નથી એ સભ્યતા વધારે સમય ટકતી નથી.

યુનાનમાં સુકરાત સોક્રેટીસનો દબદબો છતાં ડેલ્ફી દેવીનો સ્વિકાર કર્યો.ખુદ સોક્રેટીસ પણ ડેલ્ફી દેવીથી માર્ગદર્શન મેળવતા હતા.

કોઈ વિચારધારામાં મરીયમને માનવામાં આવે છે. જેરુસલામના ચર્ચમાં મધર મેરીની ગોદમાં સુતેલા ઈશુ ખ્રિસ્તનું શિલ્પ જોઈને જીસસ કરતા પણ અનેક ગણી વધારે મધર મેરી લાગે છે. ક્યાંક રાબિયા તો ક્યાંક અન્ય માતૃશક્તિ પડી છે.આ માતૃશક્તિ બળ આપે છે.આખું મહારાષ્ટ્ર માવલી જ્ઞાનદેવ,માવલી તુકારામ મા ની સાથે જોડે છે.ચૈતન્ય મહાપ્રભુ શશી માતા અને વિષ્ણુ પ્રિયા ન હોત તો ગૌરાંગનો પરિચય આપણને ન મળત.

મૂળમાં માતૃત્વ રહેલું છે.બૌદ્ધધર્મમાં પણ યશોધરા અને બુદ્ધની માતા મહાવીરની ધારામાં તો મહાવીરની માતાઓને સપનાઓ આવ્યા એટલે પાયામાં માતા પડી છે.

વૈદિક પરંપરામાં જગદંબા છે એટલે બંકિમ બાબુએ જ્યારે વંદે માતરમ લખ્યું ત્યારે સૌથી છેલ્લા બંધમાં મા દુર્ગાની સ્તુતિ કરી છે.

૧૯૪૭માં આઝાદીની પૂર્વ સંધ્યાયે જ્યારે સંવિધાન સભા મળી અને સલાહકારનાં રૂપમાં ગુરુદેવ ટાગોર પણ હતા એ મીટીંગનો આરંભ વંદેમાતરમ ગાનથી કર્યો અને મીટીંગને અંતે જન ગણ મન ગવાયું હતું. વેદમાં માનનારાઓ વેદમાતા ગાયત્રી છે.બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્મરણ થાય ત્યારે માતા અનસુયા યાદ આવે છે.

કોઈ-કોઈ વિચારધારા માતૃશક્તિ,દેવી,દુર્ગાને માનતી નથી આવી ધારા વાળા લોકો ભૂલી ગયા છે કે આપણે પણ કોઈક મા નાં પેટથી આવ્યા છીએ.

વંદે માતરમ! તું આદિ શક્તિ,તું જ પરામાયા તું બ્રહ્માંડ ભાંડોદરી છે. હું એવું માનું છું કે કોઈપણ વ્યક્તિની આંખ-દ્રષ્ટિ મા પાસેથી મળે છે.આંખ ભીંજાય એ માની કરુણા છે.અવાજ પોતાના બાપ તરફથી અને હૃદય ગુરુ તરફથી મળતું હોય છે.

આખું વંદે માતરમ કોઈપણ પ્રકારની કાપ-કૂપ વગરનું વંદેમાતરમ બાપુએ રજૂ કર્યું અને કહ્યું કે બંકિમ બાબુએ માતૃશક્તિ જગદંબાનું રૂપ જોઈને આ વર્ણન કર્યું છે.

આથી પાંચેય માતાઓ સુજલામ એટલે કે સુજળ છે મા પાસે બે પ્રકારનું જળ હોય છે:પરિશ્રમનું અને સંવેદનાનું.ધરતીમાં પાણી છે,ભારત માતામાં વરસાદ છે,જન્મભૂમિમાં નદીઓનું જળ અને જન્મદાત્રી સદૈવ સુજળ હોય છે.

પાંચેય માતાઓ સુફલામ હોય છે.રામાયણરૂપી માતા ચારેય ફળ-ધર્મ,અર્થ,કામ અને મોક્ષ આપે છે. સમાજનું તેજ જ્યારે ઓછું થાય છે ત્યારે વાટ સંકોરવાનું કામ વ્યાસપીઠ કરે છે.માણસ ધાર્મિક નહીં,ધર્મશીલ હોવો જોઈએ.સર્જક પણ સર્જન શીલ હોવો જોઈએ.સૌથી મોટામાં મોટું બળ, આત્મબળથી પણ મોટું બળ એ શીલબળ કહીશ. ભારતમાં જન્મ થયો એ જ મોટામાં મોટું સુફળ છે. શંકરાચાર્ય એ શંકરનો અવતાર છે કારણ કે મૂળ શંકર અજન્માં છે એને કોઈ માતા ન મળી તેથી માતાની ઉદરમાં એ ફરી શંકરાચાર્ય રૂપે પ્રગટ થયા. પાંચેય મા શીતલ વાયુ રૂપ છે અને પાંચેય માતાઓ સશ્ય શ્યામલા હોય છે.

સ્મરણ છૂટી જાય તો ચિંતા ન કરતા,સ્મૃતિ બની રહેવી જોઈએ.કારણ કે સ્મરણ એ પ્રયાસ છે જ્યારે સ્મૃતિ પ્રસાદથી મળે છે.

આ પછી કથાના પ્રવાહમાં નામ વંદનાનું આખું લાંબુ પ્રકરણ,વિવિધ પ્રકારની વંદનાઓ અને રામનામ વંદનાની વાત કરતા કહ્યું કે તમને જે નામ પસંદ પડે એ નામનો જપ કરવો જોઈએ કારણ કે નામ એ મંત્ર પણ છે.પણ તુલસીના મતે રામનામ શ્રેષ્ઠ છે.

૨૫ તારીખે આપણા યશસ્વી વડાપ્રધાનનાં હસ્તે અયોધ્યા રામમંદિરનાં શિખર પર ધ્વજારોહણ થશે એ માત્ર રામમંદિર પર નહિ,આખી પૃથ્વિ પર ધ્વજારોહણ છે.

કથા વિશેષ:

શુભ સંકલ્પ માટે અનુદાનનો ગંગપ્રવાહ વહેતો થયો

ગ્રીન ભારત અને નિશુલ્ક આરોગ્ય ભવનનાં પવિત્ર મનોરથ માટે શરૂ થયેલી રામકથામાં પહેલે દિવસે મોરારીબાપુએ દાનગંગામાં પહેલી આહૂતિ આપી અને ગંગા પ્રવાહ શરૂ થયો.

આજે યુએસએથી નરેશભાઈ પટેલે ૧ કરોડ રૂપિયા, અમેરિકાના નિશા ડેડીયાએ ૫૦,૦૦૦ વૃક્ષોની જવાબદારી,ક્રીસન્ટ ગ્રુપ ૩૦૦૦ વૃક્ષોના ઉછેરની જવાબદારી,વીણા ડેવલપર્શના હરેશભાઈ સંઘવી દ્વારા ૩૦૦૦ વૃક્ષોનાં ઉછેરની જવાબદારી,ગાર્ડિયન્સ ગ્રુપનાં કૌશલભાઈ દ્વારા ૩૦૦૦ વૃક્ષો આરોપણ અને ઉછેરની જવાબદારી ની જાહેરાત સદભાવના વૃદ્ધાશ્રમના સંયોજક મિતલ ખેતાણીએ કરતા કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને આ રામકથાના મનોરથી પરાગભાઈ વચ્ચે મીટીંગ થઈ છે અને આખા મહારાષ્ટ્રને પણ ગ્રીન કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે.રામકથામાં સોલિસિટર દેસાઈ સાહેબ જેવા વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી છે.

++++++++++

Related posts

અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના 3 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024 માં ટોપ રેન્ક હાંસલ કર્યો

amdavadpost_editor

HSBC અને EY India એ ગિફ્ટ સિટી પર એક વ્યાપક સંગ્રહનું અનાવરણ કર્યું, જે વૈશ્વિક સંકલન અને બજાર પરિપક્વતાના આગામી તબક્કાનો સંકેત આપે છે.

amdavadpost_editor

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

amdavadpost_editor

Leave a Comment