Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શાસ્ત્ર કહે છે કે પિતા અનિહ અને માતા અનિંદ હોવી જોઈએ

સાધન વગર ઈચ્છા બોજ બની જાય છે.
ઈચ્છા કરવી જ હોય,તો ઈચ્છા મુક્તિની ઈચ્છા કરવી જોઈએ.
આશ્રમ હોય ત્યાં આંસુ,આરોગ્ય,અન્ન,આશ્રય અભેદ અને અભય હોય છે.
કોઈનું આગમન તો,કોઇનું ગમન દુઃખદાયી હોય છે.

યવતમાલ વિદર્ભ(મહારાષ્ટ્ર)ની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો છઠ્ઠો દિવસ,કથા આરંભ પૂર્વે બાપુની રામકથાનું સંકલન સંપાદન કરતા નીતિનભાઇ વડગામા દ્વારા બે કથાઓ-માનસ રત્નાવલી(રત્નાવલી ધામ ઉ.પ્ર.) તથા માનસ હનુમાના(આફ્રિકા) વ્યાસપીઠને અર્પણ થઇ.તેમજ જે-તે સમયે એ કથામાં આવેલા મહત્વનાં પ્રસંગો વિશેની વાત થઇ.
શાસ્ત્ર કહે છે કે પિતા અનિહ એટલે કે બધા જ પ્રકારની એષણાઓથી મુક્ત હોવો જોઈએ. પુત્રેષણા,વિતેષણા એ બધી જ સમ્યક પ્રકારની હોવી જોઈએ.મા અનિંદનીય-અનિંદ હોવી જોઈએ. રામકથા પર તાત્વિક,સાત્વિક અને વાસ્તવિક સંવાદ રચતા બાપુએ ગઈકાલે વિનોબાજીના પવનાર આશ્રમની મુલાકાતની વાત કહેતા કહ્યું કે જેમ ચારધામ છે એમ કદાચ પાંચમું ધામ એ વિનોબાજીનો આશ્રમ હોય એટલું પવિત્ર સ્થળ છે. જનક અને સુનયના વિશે વાત કરતા સુનયના એટલે સુંદર આંખો વાળી.કોઈ આંખ શિકારી,તો કોઈ આંખ પૂજારી હોય છે.કોઈ આંખમાં તિરસ્કાર તો કોઈ આંખમાં નિમંત્રણ જોવા મળે છે.
હમને જહાં પે દેખી કિસમ કિસમ કી નજરેં;
ચકોર ચાંદ જૈસી હમ એક નજર ચાહતે હૈ.
સાથે એ પણ કહ્યું કે જેમ-જેમ કથા આગળ વધે છે કથાઓનો દિવસ ઓછો થાય છે એનો ડર લાગે છે જેને આધ્યાત્મિક ડર કરી શકાય.
ઈચ્છાપૂર્તિ નું સાધન હોય તો જ ઈચ્છા કરવી જોઈએ.સાધન વગર ઈચ્છા બોજ બની જાય છે. ઈચ્છા કરવી જ હોય તો ઈચ્છાથી મુક્ત થાય એવી ઈચ્છા મુક્તિની ઈચ્છા કરવી જોઈએ.કોઈને નુકસાન કરે એવી ઈચ્છા ન રાખવી જોઈએ અને ઈચ્છામાં અમારું કલ્યાણ થશે એવું લાગે એવી ઈચ્છા કરવી જોઈએ.
માતા અનિંદ અથવા તો અનિંદ્રા બે પ્રકારના પાઠ મળે છે.જેની બુદ્ધિ કોઈની નિંદા ન કરે એ આપણી મા છે અથવા તો પોતાના બાળક માટે જાગતી રહે એ મા છે.આ બંને સૂત્રો જનક અને સુનયનાને લાગુ પડે છે જનક અનિહ છે-કોઈ ઈચ્છા નથી અને સુનયના એ અનિંદા છે કોઈની નિંદા કરતા નથી.
બાપ ઈચ્છામુક્ત હોય અને મા નિંદામુક્ત હોય ત્યાં જાનકી પ્રગટ થાય છે.
દક્ષે ૧૩ કન્યાઓ કઈ-કઈ જગ્યાએ વળાવી એની વાત પણ બતાવી.
પરમાત્માએ સૌથી પહેલું રૂપ એ મા નું મોકલ્યું છે. બીજા રૂપ તરીકે પિતાને,ત્રીજા રૂપ તરીકે આચાર્યને અને ચોથા રૂપ તરીકે કોઈ અતિથિ બનીને પરમાત્મા આવે છે.લય એ માતા છે અને તાલ એ પિતા છે. રામકથામાં ચારે ભાઈઓના જન્મ બાદ નામકરણ સંસ્કારની વાત કરતા કહ્યું કે જે વિશ્વને આરામ વિરામ અને વિશ્રામ આપે તેનું નામ પરમ તત્વ રામ રાખ્યું. જે બધાને પ્રેમથી ભરી દે અને ભરણપોષણ કરે એ બાળકનું નામ ભરત.શત્રુ નહિ પરંતુ શત્રુતાને મારી નાખે એ બાળકનું નામ શત્રુઘ્ન અને સમસ્ત લક્ષણોનું ધામ એનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યું. જેન રામ-રામ રટે છે એણે આ પાછળના ત્રણેય નામ ઉપર બરાબર ધ્યાન આપવું જોઈએ.રામ-રામનું રટણ કરનારે બધાનું પોષણ કરવું જોઈએ શોષણ ન કરવું જોઈએ,કોઈ સાથે શત્રુતા ન રાખવી જોઈએ સમાજનો આધારક બનવું જોઈએ.
આશ્રમની વાત કરતા જણાવ્યું કે આશ્રમ હોય ત્યાં આંસુ હોય છે,જ્યાં આશ્રમ હોય ત્યાં આરોગ્ય હોય બધાને માટે સાત્વિક અન્ન હોય.આશ્રમ હોય ત્યાં આશ્રય હોય છે.આશ્રમ હોય ત્યાં અભેદ હોય છે. અને આશ્રમ હોય ત્યાં અભય હોય છે.
વિશ્વામિત્રનો શુભ આશ્રમ જ્યાં યજ્ઞ રક્ષા કરવા માટે રામ લક્ષ્મણને લેવા અયોધ્યા આવે છે અને રસ્તામાં શીલા રૂપે પડેલી અહલ્યાનો ઉદ્ધાર કરે છે.
અહીં કોણ ભૂલ નથી કરતું! પરંતુ જે ભૂલ ચંચળતા દ્વારા થઈ છે એ જ ભૂલને સ્થિર કરી દેવાથી અયોધ્યા વાળો ચાલીને ત્યાં આવશે.
જનકપુરીમાં સીતા દેવીપૂજન માટે જાય છે
જય જય ગિરિવર રાજ કિશોરી,
જય મહેશ મુખ ચંદ્ર ચકોરી;
જય ગજ બદન ષડાનન માતા,
જગત જનની દામિની દુતિ ગાતા.
ત્યારે મૂર્તિ મુસ્કાય છે,હલે છે,ડોલે છે,માળા આપીને પાર્વતીની મૂર્તિ સીતાને આશીર્વાદ આપે છે. પુષ્પવાટીકાના પ્રસંગ પછી ધનુષ્યભંગ અને એ પછી ચારે ભાઈઓ-રાજકુમારોના લગ્ન લેવાય છે અને જાન અયોધ્યા ગયા પછી ચાલીને આવેલા સાધુ વિશ્વામિત્ર,ચાલીને જ ફરી પાછા વનમાં જાય છે. ત્યારે એવું લાગે છે કે કોઈનું આગમન દુઃખ દે છે અને કોઈનું ગમન-જવાનું એ દુઃખ દે છે.
વિશ્વામિત્રનાં ગયા બાદ અયોધ્યા ખૂબ જ સુખી સંપન્ન હોય છે અને ત્યાં બાલકાંડનું સમાપન થાય છે.

Related posts

ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor

શહેરના જાણીતા એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા જન-જન સુધી ભોજન વિતરણ કરવાનું કાર્ય યથાવત, સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ કાર્ય કરવામાં આવશે

amdavadpost_editor

Three O’Clock Café એ ગાંધીનગરમાં ફ્લેગશિપ આઉટલેટ શરૂ કર્યું, ભારતમાં આઠમું કેફે શરૂ

amdavadpost_editor

Leave a Comment